ઇરાનનાં GDPમાં 20ટકા જેટલો ઘટડો થવાનો અંદાજ
ઇરાનને તાજેતરના યુદ્ધના કારણે અંદાજે રૂ. 13 લાખ કરોડનું આર્થિક નુકસાન થયું છે. આ કારણે દેશના GDPમાં લગભગ 20% જેટલો ઘટાડો નોંધાવાની શક્યતા છે. ક્રૂડ તેલની નિકાસ અટકવાને કારણે રૂ. 3300 કરોડનું નિકાસ નુકસાન થયું છે, અને વિશ્લેષકોના અનુમાન મુજબ ઇરાનને દેશની સમૂહ પુનનિર્માણ પ્રક્રિયામાં લગભગ 10 વર્ષનો સમય લાગશે.
મોરબીઃ પુત્રએ કરી પિતાની હત્યા
મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના મોટાભેલા ગામે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં પુત્રએ પોતાના પિતાની હત્યા કરી નાખી હતી. મળતી માહિતી મુજબ, કામ અંગે પિતાએ ઠપકો આપતા પુત્ર ઉશ્કેરાઈ ગયો હતો અને કુહાડીના ઘા ઝીંકીને પિતાને મોતને ઘાટ ઉતાર્યા હતા. ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી પુત્ર સામે માળિયા મિયાણા પોલીસ મથકે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદઃ દેત્રોજના રાજપુરા ગામે ખોરાકી ઝેરની અસર
અમદાવાદ જિલ્લામાં દેત્રોજ તાલુકાના રાજપુરા ગામે ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ખોરાકી ઝેરની ઘટના સામે આવી છે. કાર્યક્રમમાં સેવ-ખમણી ખાધા બાદ 60થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી, જેમાં ઉલટી અને ઉબકાની ફરિયાદો નોંધાઈ હતી. તબિયત લથડતા અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે કડી સ્થિત Bhagyoday Hospital તેમજ અન્ય ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને ખોરાકના નમૂનાઓની તપાસ પણ હાથ ધરાઈ છે.


