- નવસારીમાં પહેલા જ વરસાદે ખુલ્લી પડી કામગીરી
નવસારીના મિથિલા નગરી વિસ્તારમાં રીંગ રોડ પર મસમોટો ભૂવો પડતાં વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે. પ્રાથમિક માહિતી મુજબ માત્ર એક મહિના અગાઉ બનાવવામાં આવેલી ડ્રેનેજ લાઇનની કામગીરી બાદ પહેલા જ વરસાદમાં રસ્તો બેસી જતાં ભૂવો પડ્યો છે. રસ્તાની વચ્ચે ભૂવો પડતાં અકસ્માતની આશંકા વધી છે, જ્યારે GUDCની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક રસ્તાનું સમારકામ કરી સુરક્ષા માટે જરૂરી પગલાં ભરવાની માંગ ઉઠી છે
ગીરસોમનાથમાં અવિરત વરસાદથી જનજીવન ખુશનુમા, ખેડૂતોમાં આનંદ
ગીરસોમનાથ જિલ્લામાં અવિરત મેઘસવારીનો માહોલ યથાવત રહ્યો છે. સમગ્ર જિલ્લામાં ધીમીધારે સાર્વત્રિક વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વેરાવળમાં છેલ્લા 24 કલાક દરમિયાન 3 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે સૂત્રાપાડામાં માત્ર 2 કલાકમાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ઉપરાંત કોડિનાર, ઉના, ગીર-ગઢડા અને તાલાલા પંથકમાં પણ મેઘમહેર જોવા મળી છે. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે અને ખેતીના પાકોને પણ ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

