રાજકોટના પેલેસ રોડ સ્થિત જૈન દેરાસરમાં 43.29 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, ઓફિસ બોય જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ
રાજકોટ શહેરના પેલેસ રોડ પર આવેલા જૈન દેરાસરમાં થયેલી લાખો રૂપિયાની ચોરીનો ભેદ રાજકોટ એ-ડિવિઝન પોલીસે સફળતાપૂર્વક ઉકેલી કાઢ્યો છે. આ ચોરીમાં કોઈ બહારનો શખ્સ નહીં પરંતુ દેરાસરમાં ફરજ બજાવતો ઓફિસ બોય જ મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે. પોલીસે સમગ્ર કાવતરામાં સામેલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી કુલ રૂ. 33.88 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ગત 22 મેના રોજ જૈન દેરાસરના સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવેલા કબાટના ખાનામાંથી 13.840 કિલોગ્રામ ચાંદીના ચોરસા અને સિક્કાઓ સહિત રૂ. 35.29 લાખની કિંમતની ચાંદી તેમજ રૂ. 8 લાખની રોકડ રકમની ચોરી કરવામાં આવી હતી. આમ કુલ રૂ. 43.29 લાખની ચોરી થતાં દેરાસર ટ્રસ્ટીઓ અને ભક્તોમાં ભારે ચકચાર મચી હતી.
ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી રાજકોટ એ-ડિવિઝન પોલીસે વિવિધ ટીમો બનાવી ટેક્નિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને માનવ સૂત્રોના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન દેરાસરના ઓફિસ બોય તનુ આમેટાની હિલચાલ શંકાસ્પદ જણાતા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. વધુ તપાસમાં તનુ આમેટાએ પોતાના સાગરિતો આદિત્ય ઉર્ફે આદિ ભીમરાવ રામ અને સંદીપસિંહ રાઠોડ સાથે મળી ચોરીને અંજામ આપ્યાનું બહાર આવ્યું હતું.
પોલીસે આરોપી તનુ આમેટાને રાજસ્થાનમાંથી, આદિત્ય ઉર્ફે આદિ ભીમરાવ રામને ઉત્તરાખંડમાંથી તેમજ સંદીપસિંહ રાઠોડને રાજકોટમાંથી ઝડપી પાડ્યા હતા. ત્રણેયની ધરપકડ બાદ પોલીસે તેમની પાસેથી ચોરીના માલમસાલામાંથી કુલ રૂ. 33.88 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. બાકીના મુદ્દામાલ અને રકમ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજકોટ એ-ડિવિઝન પોલીસની ઝડપી અને સચોટ કામગીરીના કારણે લાખો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાતા દેરાસર ટ્રસ્ટીઓએ સંતોષ વ્યક્ત કર્યો છે. હાલ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ પૂછપરછ શરૂ કરી છે અને ચોરીમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

