રાજકોટમાં બે અલગ ઘટનાઓથી ચકચાર, મછુંનગરમાં મારામારી અને જાહેર શૌચાલયમાંથી નશીલા પદાર્થો મળ્યા
રાજકોટ શહેરમાં બુધવારે બે અલગ-અલગ ઘટનાઓએ લોકોમાં ચિંતા વધારી દીધી છે. એક તરફ રૈયાધાર વિસ્તારમાં આવેલા મછુંનગરમાં દેવીપૂજક સમાજના બે જૂથ વચ્ચે ઉગ્ર બબાલ અને લાકડીઓ વડે હુમલાની ઘટના સામે આવી છે, તો બીજી તરફ રેસકોર્સ રિંગ રોડ પર આવેલા જાહેર શૌચાલયમાંથી દારૂની બોટલો અને ગાંજા જેવા નશીલા પદાર્થો મળી આવતા લોકોમાં રોષ ફેલાયો છે.
મછુંનગરમાં જૂથ અથડામણથી તણાવનો માહોલ
પ્રાપ્ત માહિતી મુજબ રૈયાધાર મછુંનગર વિસ્તારમાં કોઈ મુદ્દે શરૂ થયેલી બોલાચાલી થોડા જ સમયમાં ઉગ્ર બબાલમાં ફેરવાઈ ગઈ હતી. બંને પક્ષના લોકો સામસામે આવી જતા વાત હાથાપાઈ સુધી પહોંચી હતી અને એકબીજા પર લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાને કારણે વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઘટનાના સમયે ભારે હોબાળો અને ગાળો-ગાળીની સ્થિતિ સર્જાઈ હતી. કેટલાક લોકોને ઇજા પહોંચી હોવાની માહિતી પણ સામે આવી રહી છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને સ્થિતિ કાબૂમાં લેવા કાર્યવાહી હાથ ધરી હતી. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.
જાહેર શૌચાલય બન્યું નશાખોરોનું અડ્ડું?
બીજી તરફ રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર આવેલા જાહેર શૌચાલયમાંથી ખાલી દારૂની બોટલો, દેશી દારૂની પોટલીઓ અને ગાંજા જેવા પદાર્થો મળી આવતા લોકો ચોંકી ઉઠ્યા હતા. સ્થાનિક લોકોએ સમગ્ર દ્રશ્યનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
લોકોમાં ચર્ચા છે કે શહેરના જાહેર સ્થળો પર અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ખાસ કરીને જાહેર શૌચાલયો અને એકાંત વિસ્તારોમાં નશાખોરી વધતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિકોએ તંત્ર પાસે માંગ કરી છે કે આવા સ્થળોએ નિયમિત ચેકિંગ, સફાઈ અને પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે જેથી સામાન્ય લોકો સુરક્ષિત રીતે જાહેર સુવિધાઓનો ઉપયોગ કરી શકે.


