સુરત : ઘરેથી નાસી છૂટેલા 3 સગીરો મળી આવ્યા
સુરતમાં ઘરેથી નાસી છૂટેલા ત્રણ સગીર ભાઇ-બહેનને પોલીસે સફળતાપૂર્વક સુરક્ષિત શોધી કાઢ્યા છે. ‘ઓપરેશન મુસ્કાન’ અંતર્ગત કાર્યવાહી કરતાં ચોકબજાર પોલીસે પાંચ વિશેષ ટીમો બનાવી સગીરોની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે 15થી વધુ રેલવે સ્ટેશનો પર ચકાસણી કરી હતી તેમજ અંદાજે 400 કરતાં વધુ CCTV ફૂટેજની તપાસ હાથ ધરી હતી. તપાસમાં સામે આવ્યું કે ફ્રી ફાયર ગેમ રમવાના શોખને કારણે ત્રણેય સગીરો ઘર છોડીને નીકળી ગયા હતા. તેઓ પહેલા સુરતથી મુંબઈ અને ત્યારબાદ દિલ્લી પહોંચ્યા હતા. બાદમાં દિલ્લીથી પરત સુરત આવ્યા બાદ પોલીસે પંડોળ વિસ્તારમાંથી ત્રણેય સગીરોને સુરક્ષિત રીતે શોધી કાઢ્યા હતા.
NEETની પુનઃપરીક્ષામાં લેવાઈ તે પહેલા કૌભાંડી સક્રિય હોવાનો દાવો
ગાંધીનગરમાં NEET પરીક્ષાને લઈને ફરી એકવાર ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. યુવરાજસિંહ જાડેજાએ દાવો કર્યો છે કે NEETની પુનઃપરીક્ષા લેવાઈ તે પહેલા જ કૌભાંડી તત્વો સક્રિય થઈ ગયા હતા. તેમના જણાવ્યા મુજબ ટેલિગ્રામ એપ્લિકેશન મારફતે વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા અને એક પેપરનો ભાવ અંદાજે 10 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો. યુવરાજસિંહે વધુમાં આરોપ લગાવ્યો કે વિદ્યાર્થીઓ પાસેથી ₹60 હજાર એડવાન્સ તરીકે લેવામાં આવતા હતા. ‘રાઘવ સર’ નામની વ્યક્તિ સમગ્ર પેપર ફોડવાનું આયોજન કરતી હોવાનો પણ તેમણે દાવો કર્યો છે. સાથે જ પેપર લીક માટે ખાસ કોડ વર્ડનો ઉપયોગ થતો હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.


