રાજકોટમાં આગામી સમયમાં યોજાનારા ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈને હવે વિવાદ ઊભો થયો છે. કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ વિરોધના સ્વરો ઉઠતા શહેરમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. સામાજિક કાર્યકર અને એડવોકેટ પુરષોત્તમ પીપળીયાએ આ કાર્યક્રમ સામે આકરા શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે અને તેને ધાર્મિક કાર્યક્રમ નહીં પરંતુ “અંધશ્રદ્ધાનો મહાકુંભ” ગણાવ્યો છે.
પુરષોત્તમ પીપળીયાએ જણાવ્યું હતું કે તેમને કોઈપણ ધાર્મિક પ્રવચન કે ધાર્મિક કાર્ય સામે વાંધો નથી, પરંતુ લોકોમાં ચમત્કાર, તાંત્રિક શક્તિઓ અને મેલીવિદ્યાના નામે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવે તે સ્વીકાર્ય નથી. તેમણે આરોપ લગાવ્યો કે આવી પ્રવૃત્તિઓ દ્વારા સામાન્ય લોકોના ભય અને માનસિક સ્થિતિનો ગેરલાભ લેવામાં આવે છે. લોકોની આસ્થા અને લાગણીઓને આધારે આર્થિક તેમજ શારીરિક શોષણ થતું હોવાની પણ તેમણે ગંભીર ટિપ્પણી કરી હતી.
તેમણે વધુમાં દાવો કર્યો કે દુનિયામાં કોઈ ચમત્કાર, તાંત્રિક શક્તિ અથવા અઘોરી શક્તિ જેવી બાબતો હકીકતમાં અસ્તિત્વમાં નથી અને આ બધું માત્ર લોકોમાં ભ્રમ ઉભો કરવાની રીત છે. તેમણે ખુલ્લો પડકાર ફેંકતા જણાવ્યું કે કોઈપણ “ચમત્કારિક બાબા” તેમની સામે આવી પોતાની શક્તિ અજમાવે, તેઓ તે માટે તૈયાર છે. “કોઈપણ ભુવા, અઘોરી કે તાંત્રિક કોઈનું નુકસાન કરી શકતા નથી, પરંતુ લોકોમાં ડર ઉભો કરીને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે છે,” એમ તેમણે જણાવ્યું હતું.
પુરષોત્તમ પીપળીયાએ “કમળ પૂજા” જેવી ઘટનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે સમાજમાં અંધશ્રદ્ધાના કારણે ખતરનાક આડઅસરો વધી રહી છે. લોકોમાં ભય, અવિશ્વાસ અને અંધ અનુસરણની માનસિકતા ઊભી થવાથી અનેક પરિવારો પર તેની ગંભીર અસર પડી રહી છે. તેમના મત અનુસાર, શિક્ષિત સમાજમાં પણ આવી બાબતોને પ્રોત્સાહન મળવું ચિંતાજનક છે.
સરકાર અને પ્રશાસન પર પણ તેમણે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે રાજ્યમાં અંધશ્રદ્ધા વિરોધી કાયદા હોવા છતાં તેની અસરકારક અમલવારી થતી નથી. રાજકીય દબાણ અને મતબેંકના રાજકારણના કારણે પ્રશાસન આવા કાર્યક્રમો સામે મૌન વલણ અપનાવે છે. “સરકાર જો આવા કાર્યક્રમો સામે કાર્યવાહી કરતી નથી તો તે એક રીતે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવાના બરાબર છે,” એમ કહી તેમણે સરકારની ભૂમિકા પર પણ સવાલો ઉઠાવ્યા હતા.
રાજકોટમાં યોજાનારા આ કાર્યક્રમને લઈને હવે સમર્થન અને વિરોધ બંને તરફથી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. એક તરફ મોટી સંખ્યામાં અનુયાયીઓ કાર્યક્રમને આધ્યાત્મિક અને ધાર્મિક ગણાવી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક સામાજિક કાર્યકરો અને જાગૃત નાગરિકો અંધશ્રદ્ધા ફેલાવવાના આક્ષેપો સાથે વિરોધ નોંધાવી રહ્યા છે. આગામી દિવસોમાં આ મુદ્દે વધુ રાજકીય અને સામાજિક ગરમાવો જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.



