રાજકોટ: બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબાર દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી હોવાનું સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે. વીડિયોમાં એક મહિલા અચાનક ધૂણવા લાગ્યા બાદ હાજર સિક્યુરિટી કર્મચારીઓ, પત્રકારો અને કેટલાક ભક્તો સાથે ઉગ્ર વર્તન કરતી અને હુમલો કરતી હોવાના દૃશ્યો જોવા મળી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, દિવ્ય દરબારમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત હતા ત્યારે અચાનક સર્જાયેલા આ બનાવને કારણે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાસ્થળે હાજર સિક્યુરિટી સ્ટાફે મહિલાને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે આસપાસ ઉભેલા લોકો પણ બચાવ માટે આગળ આવ્યા હતા. વીડિયોમાં મહિલાના આક્રમક વર્તનને કારણે કેટલાક લોકો ગભરાઈ ગયા હોવાનું પણ જોવા મળે છે.
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જોકે, આ ઘટનાને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન અથવા પોલીસ ફરિયાદ અંગે સ્પષ્ટ માહિતી સામે આવી નથી. રાજકોટમાં 5થી 7 જૂન દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીના હનુમાન કથા અને દિવ્ય દરબારના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.
નોંધ: સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોની સત્યતા અને ઘટનાની પરિસ્થિતિની અમે સ્વતંત્ર રીતે પુષ્ટિ કરતા નથી. વીડિયો વાયરલ હોવાના આધારે આ માહિતી રજૂ કરવામાં આવી છે.




