રાજકોટ શહેરની ઐતિહાસિક ઓળખ સમાન અને ધર્મેન્દ્ર રોડ પર આવેલી અંદાજે 100 વર્ષ જૂની સર લાખાજીરાજ શાક માર્કેટને આધુનિક સુવિધાઓ સાથે નવેસરથી વિકસાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ મોટો નિર્ણય લીધો છે. લાંબા સમયથી જર્જરિત હાલતમાં રહેલી આ માર્કેટના રિનોવેશન માટે મનપા દ્વારા જીએસટી સહિત રૂ. 6 કરોડથી વધુ રકમનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.
આ રિનોવેશન કામગીરી દરમિયાન માર્કેટનો હેરિટેજ લુક જળવાઈ રહે તે માટે રેટ્રો ફિટિંગ પદ્ધતિ અપનાવવામાં આવશે, જેથી માળખાની મજબૂતી સાથે તેની ઐતિહાસિક શૈલી પણ અખંડિત રહેશે. વિકાસ બાદ માર્કેટમાં કુલ 148 શાકભાજીના થડા, 22 દુકાનો તેમજ આશરે 20 વખાર બનાવવામાં આવશે, જેનાથી વેપારીઓને વધુ સુવિધા મળશે અને ગ્રાહકો માટે પણ વ્યવસ્થા સુઘડ બનશે.
ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા પછી મંજુર પ્રસ્તાવ સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલવામાં આવશે. કમિટીની મંજૂરી મળ્યા બાદ કામગીરી શરૂ થશે અને સમગ્ર પ્રોજેક્ટ અંદાજે 18 મહિનામાં પૂર્ણ કરવાની યોજના છે. રિનોવેશન પૂર્ણ થયા બાદ રાજકોટવાસીઓને પોતાની જાણીતી લાખાજીરાજ શાક માર્કેટ એક નવા, આકર્ષક અને સુવિધાસભર સ્વરૂપમાં જોવા મળશે.


