ખૂનના કેસમાં કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ, દ્વારકાના યુવક સામે ફરિયાદ
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ખૂન જેવા ગંભીર ગુનાના કેસમાં કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવાના આરોપસર એક યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાતા ભારે ચકચાર મચી છે. આરોપ છે કે દ્વારકાના રહેવાસી એમ.બી. જાદવે આરોપીઓના વકીલ ન હોવા છતાં પોતાને વકીલ તરીકે રજૂ કરીને કોર્ટની કાર્યવાહી દરમિયાન હાજરી આપી હતી.
મળતી માહિતી મુજબ, દ્વારકાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના ઇન્ચાર્જ રજીસ્ટ્રાર હિરેનભાઈ પિંડારિયાએ આ મામલે પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે આરોપીએ ખોટી ઓળખ આપી ન્યાયિક પ્રક્રિયામાં ભાગ લીધો હતો, જેના કારણે કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થયો હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 242 અને 319 તેમજ એડવોકેટ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. કેસની તપાસ પીએસઆઈ આર.એલ. ચોપડા ચલાવી રહ્યા છે. આ ઘટના બાદ કોર્ટ પ્રક્રિયાની વિશ્વસનીયતા અને સુરક્ષા અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે.

