રાજકોટ શહેરના મહત્વના સાંઢીયા પુલને લઈને વાહનચાલકોમાં સતત આતુરતા જોવા મળી રહી છે. પુલની કામગીરી પૂર્ણ થવાની નજીક હોવા છતાં હજુ સુધી તેને જાહેર ઉપયોગ માટે ખુલ્લો મુકવામાં આવ્યો નથી, જેના કારણે રોજબરોજ હજારો વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યા અને લાંબા રૂટનો સામનો કરવો પડી રહ્યો છે.
પુલના નિર્માણ દરમિયાન કેટલીક ક્ષતિઓ અને ટેકનિકલ ખામીઓ સામે આવતા મનપા દ્વારા જરૂરી સુધારાઓ કરાવવામાં આવ્યા હતા. હાલ કામગીરી પૂર્ણતાના અંતિમ તબક્કામાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું કે સાંઢીયા પુલની કામગીરી પૂર્ણ થઈ રહી છે અને હવે એક વખત ફરીથી સમગ્ર પુલનું નિરીક્ષણ કરવામાં આવશે. સુરક્ષા અને ગુણવત્તાના તમામ માપદંડોની ખાતરી થયા બાદ જ પુલને વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવશે.
શહેરના વ્યસ્ત માર્ગોમાંનો એક ગણાતો આ પુલ હજુ બંધ હોવાથી ટ્રાફિકનું ભારણ અન્ય માર્ગો પર વધી રહ્યું છે. ત્યારે શહેરવાસીઓ અને વાહનચાલકો હવે પુલ વહેલી તકે ખુલ્લો મુકાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.



