રાજકોટના રૈયાધાર વિસ્તારમાં યુવકની હત્યાના બનાવ બાદ પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આરોપીઓને ઝડપથી પકડી પાડીને ન્યાય આપવાની માંગ સાથે પરિવારજનોએ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ધરણા શરૂ કર્યા છે.
મૃતકનો મૃતદેહ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હોવા છતાં પરિવારજનોએ બોડી સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. પરિવારજનોએ આરોપ લગાવ્યો કે ઘટનાના આરોપીઓ હજુ સુધી પોલીસ પકડથી દૂર છે, જેના કારણે તેઓ ન્યાય માટે હોસ્પિટલના પટાંગણમાં જ બેસી ગયા હતા.
પરિવારજનોએ “આરોપીઓને ઝડપથી પકડી પાડો અને અમને ન્યાય આપો” જેવી માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. પરિવારના આક્ષેપોને કારણે થોડા સમય માટે હોસ્પિટલ વિસ્તારમાં તંગદિલીભર્યું વાતાવરણ પણ સર્જાયું હતું.
પરિસ્થિતિ વધુ તંગ બનતાં પરિવારજનોએ ચીમકી આપી હતી કે જો આરોપીઓ સામે તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો તેઓ મૃતદેહ લઈને પોલીસ કમિશનર કચેરી સુધી જશે. ત્યારબાદ પોલીસ તંત્ર દ્વારા પરિવારજન સાથે ચર્ચા કરી તેમને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ ચાલુ હોવાનું અને આરોપીઓને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.


