રાજકોટમાં ખંડણીખોરોનો આતંક: પાનની દુકાને તોડફોડ બાદ વેપારી પાસેથી ઉઘરાવ્યા રૂપિયા
રાજકોટ શહેરમાં લુખ્ખાગીરી અને ખંડણીખોરીના બનાવોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. અમૂલ સર્કલ નજીક આવેલી પાન અને ટી સ્ટોલની દુકાને કેટલાક શખ્સોએ ધમાલ મચાવી દુકાનમાં તોડફોડ કરી હતી. બાદમાં દુકાનદાર અને તેના ભાણેજને મારમારી “અહીં દુકાન ચલાવવી હોય તો રોજના પૈસા આપવા પડશે” કહી રૂ.૧૨૦૦ બળજબરીથી પડાવી લીધા હતા. સમગ્ર મામલે થોરાળા પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
માહિતી અનુસાર, આજીડેમ ચોકડી વિસ્તારમાં રહેતા જયેશ ઉર્ફે લાલો કવાતરની અમૂલ સર્કલ પાસે ‘મોમાઈ પાન એન્ડ ટી સ્ટોલ’ નામની દુકાન આવેલી છે. ગત ૨૪ મેની રાત્રે દુકાને હાજર તેમના ભાણેજ કિશન ડાભી સાથે મોહિત ઉર્ફે બન્ની પરમારે બોલાચાલી કરી હતી. ત્યારબાદ તેણે દુકાનમાં તોડફોડ કરી ધમકી આપી હતી કે, “અહીં ધંધો કરવો હોય તો મને પૈસા આપવા પડશે.”
ઘટનાની જાણ થતાં જયેશભાઈ દુકાને પહોંચ્યા હતા. બાદમાં સમાધાનના બહાને તેમને આંબેડકરનગર વિસ્તારમાં બોલાવવામાં આવ્યા હતા, જ્યાં મોહિત સાથે અજય ગોહેલ, હિતેન ઉર્ફે ડબ્બો અને સુજલ બથવાર હાજર હતા. આરોપીઓએ વેપારીને ધમકાવી રૂ.૧૨૦૦ ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. આરોપીએ “હું અગાઉ મર્ડરના કેસમાં જેલમાં ગયો છું” કહી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ દરમિયાન ફરિયાદીના ભાણેજ કિશનને પકડી રાખી માર મારવામાં આવ્યો હતો. વચ્ચે પડનાર વ્યક્તિઓને પણ ધક્કામુક્કી અને મારમારી કરવામાં આવી હતી. બાદમાં ફરી બીજા દિવસે આરોપી દુકાને પહોંચી કિશન સાથે ઝઘડો કરી હુમલો કર્યો હતો.
ઘટનાથી કંટાળેલા વેપારીએ આખરે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચારેય આરોપીઓ સામે મારામારી, ધમકી, તોડફોડ અને ખંડણી ઉઘરાવવાના ગુના હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં વધી રહેલી આવી લુખ્ખાગીરીને કારણે વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

