રાજકોટવાસીઓ માટે ખુશખબર: હવે જન્મ-મરણના દાખલા માટે નહીં ખાવા પડે ધક્કા, વોર્ડ ઓફિસમાંથી જ મળશે સેવા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિક સુવિધાઓને વધુ સરળ અને સુલભ બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે શહેરના નાગરિકોને જન્મ અને મરણના પ્રમાણપત્ર મેળવવા માટે સેન્ટ્રલ કચેરી સુધી જવાની જરૂર નહીં રહે. મહાનગરપાલિકા દ્વારા વોર્ડ ઓફિસ સ્તરે જ આ સેવા શરૂ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી લોકો પોતાના વિસ્તારની નજીક આવેલી વોર્ડ કચેરીમાંથી સરળતાથી દાખલા મેળવી શકશે. આ નવી વ્યવસ્થાથી સમય અને ખર્ચની બચત થશે તેમજ નાગરિકોને લાંબી લાઈનો અને ધક્કામુક્કીમાંથી પણ રાહત મળશે. મહાનગરપાલિકા દ્વારા તબક્કાવાર તમામ વોર્ડમાં આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જેને શહેરના લોકો દ્વારા આવકારવામાં આવી રહ્યો છે.




