કમલાબાગ પોલીસને વાહનચોરીના ગુનામાં મોટી સફળતા, ત્રણ એક્ટિવા સાથે ત્રણ આરોપીઓ ઝડપાયા
રાજકોટ શહેર કમલાબાગ પોલીસ સ્ટેશનને વાહનચોરીના ગુનામાં મહત્વની સફળતા મળી છે. પેટ્રોલિંગ દરમિયાન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસે રહેલા એક્ટિવા અંગે પૂછપરછ કરતા વાહન ચોરીનું હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે વધુ તપાસ હાથ ધરતા આરોપીની પૂછપરછમાંથી અન્ય વાહનચોરીના ગુનાઓનો પણ ભેદ ઉકેલાયો હતો. પોલીસે અલગ-અલગ સ્થળેથી ચોરી કરાયેલા કુલ ત્રણ એક્ટિવા કબજે કરી અંદાજે રૂ. 1.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ તપાસમાં ઝડપાયેલા આરોપીઓની ઓળખ ઈકબાલ બલવંત પરમાર, રતન જશવંતભાઈ ભરવાડ અને કારશન દેવાભાઈ આવડિયા તરીકે થઈ છે. ત્રણેય આરોપીઓની અટકાયત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓ પાસેથી મળી આવેલા વાહનો અંગે વધુ તપાસ ચાલી રહી છે કે અન્ય કોઈ ગુનાઓમાં તેમની સંડોવણી છે કે નહીં.
કમલાબાગ પોલીસ સ્ટેશનની ટીમે ઝડપી કાર્યવાહી કરીને વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી ચોરાઉ વાહનો તેમના માલિકોને પરત મળે તે દિશામાં કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે નાગરિકોને પોતાના વાહનો સુરક્ષિત સ્થળે પાર્ક કરવા, સ્ટિયરિંગ અથવા વ્હીલ લોકનો ઉપયોગ કરવા તેમજ કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે પ્રવૃત્તિ નજરે પડે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી છે.

