રાજકોટ શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલ અંડર બ્રિજ પાસે ઝૂંપડપટ્ટી દૂર કરવાની કાર્યવાહી દરમિયાન તણાવભર્યો માહોલ સર્જાયો હતો. રેલવેની જમીન પર વર્ષોથી થયેલા દબાણને દૂર કરવા તંત્ર દ્વારા ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ કાર્યવાહી દરમિયાન કેટલાક સ્થાનિકોએ વિરોધ નોંધાવતા ઘર્ષણની સ્થિતિ ઊભી થઈ હતી.
મળતી માહિતી મુજબ તંત્ર દ્વારા વિસ્તારમાં આવેલ ઝૂંપડાઓ અને અસ્થાયી માળખાઓ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા ત્યાં રહેતા કેટલાક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પોતાના રહેઠાણ તોડી પાડવાની કાર્યવાહી સામે લોકો નારાજગી વ્યક્ત કરતા હોવાથી થોડો સમય માટે પરિસ્થિતિ તંગ બની ગઈ હતી.
ડિમોલેશન કામગીરી માટે પહેલેથી જ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સ્થળ પર રેલવે પોલીસ, આરપીએફ, સ્થાનિક પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચની ટીમો તૈનાત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા લોકોને સમજાવી સ્થિતિ કાબૂમાં લેવામાં આવી હતી.
તંત્ર દ્વારા જણાવાયું હતું કે રેલવેની જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણને દૂર કરવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન ઝૂંપડપટ્ટીના અનેક માળખાઓ તોડી પાડવામાં આવ્યા હતા અને મશીનરીની મદદથી કચરો દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.
ઘટનાસ્થળે કોઈ મોટી અનિચ્છનીય ઘટના બની નથી, પરંતુ તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે પોલીસની દેખરેખ હેઠળ ડિમોલેશન કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે.




