રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ગેરકાયદેસર નાણાં ધીરધાર અને વ્યાજખોરી સામે કરવામાં આવેલી કાર્યવાહી ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ હેઠળ આવેલા સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં નાણાં ધીરધાર અધિનિયમ મુજબ ગુનો નોંધાયા બાદ પોલીસે આરોપી સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી પાસેથી અંદાજે એક કરોડ રૂપિયાની કિંમત સુધીની વિવિધ મિલકતો અને દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા હતા, જે હવે કાયદેસરની પ્રક્રિયા બાદ મૂળ ભોગ બનનાર લોકોને પરત આપવામાં આવ્યા છે.
રાજકોટ ગ્રામ્ય એસ.પી કચેરી ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સમગ્ર કાર્યવાહી અંગે માહિતી આપવામાં આવી હતી. પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે આરોપી દ્વારા લોકોને ઊંચા વ્યાજે નાણાં આપીને તેમની પાસે સોના-ચાંદીના દાગીના, વાહનોના દસ્તાવેજો, ચેક તેમજ મકાન સંબંધિત કાગળો ગીરવે રાખવામાં આવતા હતા. સમયસર રકમ પરત ન આપી શકતા લોકો પર દબાણ કરવામાં આવતું હોવાની પણ ફરિયાદો મળી હતી.
પોલીસે તપાસ દરમિયાન આરોપી પાસેથી મોટી સંખ્યામાં સોના-ચાંદીના દાગીના, વાહનોના RC બુક, સહી કરેલા ચેક, મકાનના દસ્તાવેજો તેમજ રોકડ રકમ કબ્જે કરી હતી. બાદમાં તપાસ પૂર્ણ થયા પછી તમામ વસ્તુઓની ચકાસણી કરીને ભોગ બનનાર લોકોને પરત આપવામાં આવી હતી. અંદાજે એક કરોડ સુધીની મિલકત અને દસ્તાવેજો પરત મળતા અનેક પરિવારોને મોટી રાહત મળી હતી.
જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે ગેરકાયદેસર વ્યાજખોરી સામાન્ય લોકો માટે મોટી સમસ્યા બની રહી છે. ઘણા લોકો ભયના કારણે પોલીસ સુધી પહોંચતા નથી, જેના કારણે આવા તત્વો વધુ બેફામ બનતા હોય છે. પરંતુ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા આવા કેસોમાં કડક કાર્યવાહી કરીને લોકોને ન્યાય અપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
પોલીસે લોકોને અપીલ કરી હતી કે કોઈપણ વ્યક્તિ ગેરકાયદેસર રીતે નાણાં ધીરધાર, દબાણ કે વ્યાજખોરીનો ભોગ બને તો તરત નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે. રાજકોટ ગ્રામ્ય પોલીસની આ કાર્યવાહીથી વ્યાજખોર તત્વોમાં પણ ચકચાર મચી ગઈ છે.

